આ મુસ્લિમ મહિલાને માં અંબાએ આપ્યો સાક્ષાત પરચો,ત્યારથી માં અંબા ની કરે છે પૂજા

નવરાત્રિનો તહેવાર એટલે હિન્દુ ધર્મનો મોટામાં મોટો તહેવાર ગણવામાં આવે છે. પરંતુ હિન્દુ ધર્મની સાથેસાથે મુસ્લિમ ધર્મના લોકો પણ નવરાત્રિનો તહેવાર ઉજવી રહ્યા છે. રાજકોટમાં ધરમનગર આવાસ યોજનામાં મુમતાઝબેન મલેક છેલ્લા 3 વર્ષથી નવદુર્ગા ગરબી મંડળનું આયોજન કરે છે. મુમતાઝબેન મુસ્લિમ હોવા છતાં ગરબી મંડળ ચલાવે છે. જે કોમી એકતાના દર્શન કરાવે છે.
ગરબીનું આયોજન કરતા મુમતાઝબેને જણાવ્યું હતું કે, ગાંધીગ્રામમાં ધરમનગર આવાસ યોજના છે ત્યાં હું ગરબા રમાડું છું. કોરોનામાં આવાસમાં રહેતી મહિલાઓ મને કહેવા લાગી કે, મુમતાઝબેન નાની છોકરીઓ બહું જ રડે છે, તમે ગરબી કરાવો.
આથી મેં કહ્યું વાંધો નહીં, માતાજીની જેવી ઈચ્છા. બે દિવસ તો મેં ટાળી દીધું પણ ત્રીજા દિવસે મને માતાજી સપનામાં આવ્યા અને કહ્યું મને કે હું આવું, તો મેં કહ્યું આવો વેલકમ. માતાજીએ પોતે આવીને મને કહ્યું હોવાની વાત અન્ય લોકોને કરી.
બાદમાં કોરોના જેવું છે તો ભલે માંડવો ન હોય પણ અમે તે દિવસથી નોરતા ચાલુ કર્યા હતા.મુમતાઝબેને વધુમાં જણાવ્યું હતું કે, જેમ જેમ હિન્દુ-મુસ્લિમ સમાજના લોકોને ખબર પડી તેમ તેમ મને બધા સાથ સહકાર આપવા લાગ્યા. લોકો કહેવા લાગ્યા કે, મુમતાઝબેન તમે જે કામ કરો છો તે બહુ જ સરસ કરો છો.
અમે તમને સાથ આપીશું.આથી મેં કહ્યું કે હું સારું જ કરૂ છું અને માતાજીની દયાથી કોરોના જતો રહે. તેમજ હિન્દુ-મુસ્લિમ સમાજ વચ્ચે એકતા રહે તેવી રીતે આપણે કામ કરવાનું છે.
બધાએ મને સાથ સહકાર બહુ જ આપ્યો છે.મુમતાઝબેને વધુમાં જણાવ્યું હતું કે, નવરાત્રિમાં રોજ હું સાંજ પડે એટલે નમાઝ પઢવાનું બાદમાં કુરાન પઢવાનું અને સાડા આઠ વાગે એટલે હું માતાજીની આરતી કરું છું.નવ વાગ્યે દીકરીઓની ગરબી ચાલુ કરી દઉં છું.
પહેલા 20 દીકરીઓ હતી પછી 25 થઈ. અત્યારે 50 દીકરીઓ મારી ગરબી મંડળમાં ગરબા રમે છે. આજુબાજુવાળા મને બહુ જ સાથ સહકાર આપે છે. સોનાના દાણાથી લઈને ચાંદીની વસ્તુઓ લોકો લહાણીમાં આપે છે. બસ જય માતાજી અને સલામ વાલીકુમ.